રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020



29 જુલાઈ 2020ના રોજ પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબીનેટ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને મંજુરી આપવામાં આવી હતી.

પૂર્વભૂમિકા :
  • 21મી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ છે અને દેશમાં અમલી 34 વર્ષ જુની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE) 1986ના બદલે તેને અમલમાં મુકવામાં આવશે.
  • આ નીતિ પહોંચ, સમાનતા, ગુણવત્તા, એફોર્ડેબીલીટી અને જવાબદારીના મૂળભૂત પાયા પર તૈયાર કરવામાં આવેલી છે.
  • આ નીતિ ટકાઉક્ષમ વિકાસના 2030 એજન્ડાને સુસંગત છે અને તેનો ઉદ્દેશ શિક્ષણને વધુ સર્વગ્રાહી, અનુકૂલનશીલ, બહુ-વિષયક, 21મી સદીની જરૂરિયાતોને સુસંગત બનાવીને ભારતને જ્ઞાનના સમાજ અને વૈશ્વિક જ્ઞાન મહાશક્તિમાં પરિવર્તિત કરવાનો અને દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓને બહાર લાવવાનો છે.
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની રચના 2.5 લાખ ગ્રામ પંચાયતો, 6,600 બ્લૉક, 6,000 ULB, 676 જિલ્લાઓ પાસેથી પ્રાપ્ત થયેલા 2 લાખ જેટલા સૂચનોનો સમાવેશ કરીને બાદ કરવામાં આવી છે.
  • MHRD દ્વારા જાન્યુઆરી, 2015થી સર્વગ્રાહી, સમાવેશી અને વ્યાપક પ્રતિભાગીતા ધરાવતી અભૂતપૂર્વ પરામર્શ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
  • મે, 2016માં, ભૂતપૂર્વ કેબિનેટ સચિવ, સ્વર્ગીય ટી.એસ.આર. સુબ્રમણ્યમની અધ્યક્ષતા હેઠળ ઘડાયેલી ‘નવી શૈક્ષણિક નીતિ વિકસિત કરવા માટે સમિતિ’એ પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.
  • આ અહેવાલના આધારે, મંત્રાલયે, ‘રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ, 2016ના ખરડા માટે કેટલાક સૂચનો’ તૈયાર કર્યા હતા.
  • જૂન, 2017માં ખ્યાતનામ વૈજ્ઞાનિક પદ્મ વિભૂષણ ડૉ. કે. કસ્તુરીરંગનની અધ્યક્ષતા હેઠળ ‘રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિના ખરડા માટે સમિતિ’ની રચના કરવામાં આવી હતી, જેમના દ્વારા માનવ સંશાધન વિકાસ મંત્રીને 31મી મે, 2019ના રોજ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ, 2019નો ખરડો સુપરત કરાયો હતો.
  • જાહેર લોકો સહિત હિતધારકોના મંતવ્યો / સૂચનો / ટિપ્પણીઓ મેળવવા માટે રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ, 2019નો ખરડો MHRDની વેબસાઇટ અને ‘MyGOv ઇનોવેટ’ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
મુખ્ય બાબતો :
  • નવી નીતિનો ઉદ્દેશ 2030 સુધીમાં પ્રિ-સ્કૂલથી માંડીને માધ્યમિક સ્તર સુધી શાળાઓમાં 100% GER સાથે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો છે
  • શાળા છોડનારા 2 કરોડ વિદ્યાર્થીઓને NEP 2020 અંતર્ગત મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવશે
  • 12 વર્ષના શાળાકીય અભ્યાસ અને 3 વર્ષ આંગણવાડી/ પ્રિ-સ્કૂલિંગ સાથે નવો 5+3+3+4નો શાળાકીય અભ્યાસક્રમ
  • પાયાની સાક્ષરતા અને સાંખ્યજ્ઞાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, શાળામાં શૈક્ષણિક પ્રવાહો અને ઇતરપ્રવૃત્તિઓ, રોજગારલક્ષી પ્રવાહો વચ્ચે કોઇ મોટો તફાવત રહેશે નહીં;
  • છઠ્ઠા ધોરણથી રોજગારલક્ષી શિક્ષણ ઇન્ટર્નશીપ સાથે શરૂ થશે
  • ઓછામાં ઓછા પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ માતૃભાષા/ પ્રાદેશિક ભાષામાં રહેશે
  • અભ્યાસના પરિણામો પ્રાપ્ત કરવા માટે સર્વાંગી પ્રગતિપત્રક, વિદ્યાર્થીઓની પ્રગતિ પર દેખરેખ સાથે મૂલ્યાંકનમાં સુધારા
  • 2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER 50% સુધી વધારવામાં આવશે;
  • 3.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે
  • ઉચ્ચ અભ્યાસના અભ્યાસક્રમમાં વિષયોની અનુકૂલનતા રહેશે
  • યોગ્ય પ્રમાણીકરણ સાથે બહુવિધ એન્ટ્રી/ એક્ઝીટને મંજૂરી આપવામાં આવશે
  • ક્રેડિટ ટ્રાન્ફસરની સુવિધા ઉભી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ મુખ્ય અંશો

(1) શાળાકીય અભ્યાસ :

શાળાકીય અભ્યાસમાં સાર્વત્રિકરણ :
  • પ્રિ-સ્કૂલથી માંડીને માધ્યમિક સ્તર સુધી દરેકને શાળાકીય અભ્યાસમાં સાર્વત્રિકરણ કરાશે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહકાર, શાળા છોડનારા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે નવીનતમ શૈક્ષણિક કેન્દ્રો, વિદ્યાર્થીઓ અને તેમના અભ્યાસના સ્તરો પર દેખરેખ (ટ્રેકિંગ) ઔપચારિક અને અનૌપચારિક એમ બંને પ્રકારના શિક્ષણના માધ્યમો સામેલ કરવા માટે બહુવિધ રીતોથી સુવિધા
  • શાળાઓ દ્વારા કાઉન્સેલર્સ સાથે જોડાણ અથવા સારી રીતે તાલીમબદ્ધ સામાજિક કાર્યકરો સાથે જોડાણ
  • ધોરણ 3, 5 અને 8 માટે NIOS દ્વારા ઓપન લર્નિંગ
  • ધોરણ 10 અને 12ની સમકક્ષ માધ્યમિક શૈક્ષણિક કાર્યક્રમો
  • શાળા છોડી દેનારા અંદાજે બે કરોડ વિદ્યાર્થીઓને NEP 2020 અંતર્ગત પાછા મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે.
અભ્યાસક્રમ :
  • પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા, 10+2 અભ્યાસક્રમ માળખાના બદલે 5+3+3+4 અભ્યાસક્રમ માળખુ જેમાં અનુક્રમે 3-8, 8-11, 11-14 અને 14-18 વયજૂથના વિદ્યાર્થીઓ માટે અપનાવવામાં આવ્યું છે.
  • નવી પ્રણાલીમાં 12 વર્ષ શાળાકીય અભ્યાસના અને ત્રણ વર્ષ આંગણવાડી/ પ્રિ-સ્કૂલ અભ્યાસના રહેશે.
  • NCERT દ્વારા 8 વર્ષ સુધીના બાળકો માટે પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર વિષયક માળખું (NCPFECCE) તૈયાર કરવામાં આવશે.
  • આંગણવાડી અને પ્રિ-સ્કૂલ સહિત સંસ્થાઓના નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તરણ કરાયેલ અને મજબૂત બનાવવામાં આવેલા તંત્ર દ્વારા ECCE આપવામાં આવશે જેમાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો ECCE શિક્ષણશાસ્ત્ર અને અભ્યાસક્રમમાં તાલીમબદ્ધ હશે.
  • ECCEના આયોજન અને અમલીકરણની કામગીરી HRD મંત્રાલય અને મહિલા અને બાળક કલ્યાણ મંત્રાલય (WCD), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (HFW) અને આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
પાયાની સાક્ષરતા અને સાંખ્યજ્ઞાન :
  • રાષ્ટ્રીય સાક્ષરતા અને સાંખ્યજ્ઞાન મિશન ઉભું કરવામાં આવશે.
  • વર્ષ 2025 સુધીમાં ત્રીજા ધોરણ સુધીમાં પ્રાથમિક શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ સાર્વત્રિક પાયાની સાક્ષરતા અને સાંખ્યજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવશે.
  • રાષ્ટ્રીય પુસ્તક પ્રચાર નીતિ તૈયાર કરવામાં આવશે.
  • શાળાકીય અભ્યાસ અને શિક્ષણશાસ્ત્રમાં સુધારા :
  • અભ્યાસક્રમ સામગ્રીમાં ઘટાડો કરવામાં આવશે.
  • મહત્વપૂર્ણ વિચારશૈલી તેમજ પ્રયોગાત્મક અભ્યાસક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે.
  • વિદ્યાર્થીઓ પાસે વિષયો પસંદ કરવાની વધુ અનુકૂલનતા અને પસંદગીઓ રહેશે.
  • કળા અને વિજ્ઞાન, અભ્યાસક્રમ અને ઇતરપ્રવૃત્તિઓ, રોજગારલક્ષી અને શૈક્ષણિક પ્રવાહો વચ્ચે કોઇ ભિન્નતા રાખવામાં નહીં આવે.
  • છઠ્ઠા ધોરણથી રોજગારલક્ષી શિક્ષણ શરૂ થશે અને તેમાં ઇન્ટર્નશીપ સામેલ રહેશે.
  • શાળાકીય અભ્યાસ માટે NCERT દ્વારા નવું અને વ્યાપક રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (NCFSE) 2020-21 તૈયાર કરવામાં આવશે.
બહુ-ભાષાને મહત્વ
  • ઓછામાં ઓછા ધોરણ-5 સુધીના અભ્યાસમાં સૂચનાઓ આપવાના માધ્યમ તરીકે માતૃભાષા/ સ્થાનિક ભાષા/ પ્રાદેશિક ભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, ધોરણ- 8 અને તેનાથી આગળ પણ ચાલુ રાખવાની પ્રાધાન્યતા આપવામાં આવશે.
  • સંસ્કૃતને ત્રણ ભાષાની ફોર્મ્યુલામાં સામેલ કરીને શાળાકીય અને ઉચ્ચ અભ્યાસમાં તમામ સ્તરે વિદ્યાર્થીઓને વિકલ્પ તરીકે આપવામાં આવશે.
  • કોઇપણ વિદ્યાર્થી પર કોઇ ચોક્કસ ભાષાનું ફરજિયાત પાલન કરવામાં આવશે નહીં.
  • ભારતની અન્ય શાસ્ત્રીય ભાષાઓ અને સાહિત્યો પણ વિકલ્પો તરીકે ઉપલબ્ધ રહેશે.
  • માધ્યમિક સ્તરે કેટલીક વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે.
  • મૂકબધીર વિદ્યાર્થીઓને ઉપયોગમાં લેવા માટે સમગ્ર દેશમાં ભારતીય સાંકેતિક ભાષા (ISL)ને પ્રમાણિત કરવામાં આવશે અને રાષ્ટ્રીય તેમજ રાજ્ય અભ્યાસક્રમ સામગ્રી તૈયાર કરવામાં આવશે.
મૂલ્યાંકન
  • નિયમિત અને રચનાત્મક મૂલ્યાંકનને મહત્વ.
  • શાળામાં ધોરણ 3, 5 અને 8માં તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા યોગ્ય સત્તામંડળ દ્વારા લેવામાં આવશે.
  • ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે લેવાતી બોર્ડની પરીક્ષા યથાવત્ રહેશે પરંતુ, સર્વાંગી વિકાસના ઉદ્દેશને કેન્દ્રમાં રાખીને તેની રૂપરેખા ફરી તૈયાર કરવામાં આવશે.
  • આદર્શ- આયોજન સંગઠન તરીકે નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH (સર્વાંગી વિકાસ માટે પરફોર્મન્સ મૂલ્યાંકન, સમીક્ષા અને જ્ઞાનનું વિશ્લેષણ)ની રચના કરવામાં આવશે.
સમાન અને સમાવેશી શિક્ષણ
  • સામાજિક અને આર્થિક વંચિત સમૂહો (SEDG) કે જેમાં જાતિ, સામાજિક-સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખ અને દિવ્યાંગતા સામેલ છે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
  • આમાં જાતિ સમાવેશિતા ભંડોળ સ્થાપવાનું તેમજ વંચિત પ્રદેશો અને સમૂહો માટે “વિશેષ શિક્ષણ ઝોન” ઉભા કરવાનું પણ સામેલ છે.
  • દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સહાયક તંત્રોની મદદથી પાયાના તબક્કેથી ઉચ્ચ શિક્ષણ સુધી નિયમિત શાળાકીય અભ્યાસની પ્રક્રિયામાં સંપૂર્ણપણે ભાગ લેવા માટે સમર્થ બનાવવામાં આવશે.
  • દરેક રાજ્ય/ જિલ્લાને વિશેષ આખા દિવસની બોર્ડિંગ સ્કૂલ તરીકે "બાળ ભવન” સ્થાપવા પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી તેઓ કળા સંબંધિત, કારકિર્દી સંબધિત અને રમત સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકે.
શિક્ષક ભરતી અને કારકિર્દી
  • શિક્ષકોની મજબૂત, પારદર્શી પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવશે.
  • સમયાંતરે બહુ-સ્રોતીય કામગીરી મૂલ્યાંકન વ્યવસ્થા દ્વારા લાયકાત-આધારિત પ્રમોશન આપવામાં આવશે અને તેમને શૈક્ષણિક સંચાલક અથવા શિક્ષક પ્રશિક્ષક બનવા માટે પ્રગતિના માર્ગો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • NCERT, SCERT, તમામ સ્તરો અને પ્રદેશોમાંથી શિક્ષકો અને નિષ્ણાત સંસ્થાઓ સાથે પરામર્શમાં 2022 સુધી રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષક પરિષદ દ્વારા શિક્ષકો માટે સામાન્ય રાષ્ટ્રીય વ્યાવસાયિક માપદંડો (NPST) વિકસાવવામાં આવશે.
સ્કૂલ સંચાલન
  • શાળાઓને પરિસરો અથવા સમૂહોમાં આયોજિત કરી શકાશે જે સંચાલન માટેનું મૂળભૂત એકમ બનશે અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક પુસ્તકાલયો અને મજબૂત વ્યાવસાયિક શિક્ષક સમુદાયો સહિત તમામ સંશાધનોની ઉપલબ્ધી સુનિશ્ચિત કરશે.
શાળા શિક્ષણ માટે માપદંડ-નિર્ધારણ
  • રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો સ્વતંત્ર રાજ્ય શાળા માપદંડ સત્તામંડળ (SSSA)ની સ્થાપના કરશે.
  • SSSA દ્વારા નિર્ધારિત કરાયેલી તમામ મૂળભૂત નિયમન માહિતીનો પારદર્શી જાહેર સ્વૈચ્છિક ખુલાસાનો વિસ્તૃત ઉપયોગ જાહેર દેખરેખ અને જવાબદેહિતા માટે કરવામાં આવશે.
  • SCERT તમામ હિતધારકો સાથે પરામર્શ સાધીને શાળા ગુણવત્તા મૂલ્યાંકન અને અધિકૃતતા માળખું (SQAAF) વિકસાવશે.

(2) ઉચ્ચ શિક્ષણ
  • વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ ગુણોત્તરમાં 26.3% (2018)થી 2035 સુધીમાં 50% સુધી વધારો કરવાનું લક્ષ્ય છે.
  • ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 3.5 કરોડ નવી બેઠકો ઉમેરવામાં આવશે.
સર્વાંગી બહુવિષયક શિક્ષણ
  • NEP પરિવર્તનશીલ અભ્યાસક્રમ, વિષયોનું સર્જનાત્મક સંયોજન, વ્યાવસાયિક તાલીમનું સંકલન અને યોગ્ય પ્રમાણપત્ર સાથે બહુવિધ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ દ્વારા વ્યાપક બહુવિષયક, સર્વાંગી પૂર્વ-સ્નાતક શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાશે.
  • પૂર્વ-સ્નાતક બહુવિધ એક્ઝીટ વિકલ્પો અને આ સમયગાળાની અંદર યોગ્ય પ્રમાણપત્રો સાથે કરી શકાશે.
  • એક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, 3 વર્ષ પછી સ્નાતકની ડીગ્રી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતકની ડીગ્રી મળશે.
  • વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEI) દ્વારા મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવા માટે ‘એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ’ની સ્થાપના કરવામાં આવશે, જેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.
  • IIT, IIMની જેમ જ, દેશમાં બહુવિષયક શૈક્ષણિક અને સંશોધન યુનિવર્સિટી (MERU)ની સ્થાપના વૈશ્વિક માપદંડો ધરાવતી શ્રેષ્ઠ બહુવિષયક શૈક્ષણિક સંસ્થાના મોડલ તરીકે કરવામાં આવશે.
  • ઉચ્ચ શિક્ષણમાં સંશોધન ક્ષમતાના નિર્માણની સર્વોચ્ચ સંસ્થા તરીકે “નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન”ની શરૂઆત કરવામાં આવશે.
નિયમનો
  • ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ (HECI)ની સ્થાપના તબીબી અને કાનૂની શિક્ષણ સિવાય સમગ્ર ઉચ્ચ શિક્ષણ ઉપર દેખરેખ રાખતી એકમાત્ર સંસ્થા તરીકે કરવામાં આવશે.
  • HECI ચાર સ્વતંત્ર અંગો ધરાવશે –
    (1) નિયમન માટે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ (NHERC),
    (2) માપદંડ નિર્ધારિત કરવા માટે સામાન્ય શિક્ષણ પરિષદ (GEC),
    (૩) ભંડોળ માટે ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ (HEGC) અને
    (4) માન્યતા માટે રાષ્ટ્રીય અધિકૃતતા પરિષદ (NAC).
  • HECI ટેક્નોલોજી દ્વારા સંપર્કવિહિન હસ્તક્ષેપ દ્વારા કામગીરી કરશે અને નિયત નિયમો અને માપદંડોનું પાલન ન કરનાર HEIને દંડિત કરવાની સત્તા ધરાવતી હશે.
  • જાહેર અને ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું નિયમનો, અધિકૃતતા અને શૈક્ષણિક માપદંડો માટે એક જ નિયમોના સમૂહો હેઠળ સંચાલન કરાશે.
સંસ્થાકીય માળખું
  • ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધન અને સમુદાય સંકલન પૂરી પાડતી વિશાળ, વ્યાપક સંશાધનો ધરાવતી, ગતિશિલ બહુશિસ્ત સંસ્થાઓમાં તબદિલ કરવામાં આવશે.
  • યુનિવર્સિટીઓની વ્યાખ્યામાં વિસ્તૃત શ્રેણીબદ્ધ સંસ્થાઓનો સમાવેશ કરાશે, જેમાં સંશોધન-લક્ષી યુનિવર્સિટીઓથી માંડીને શિક્ષણ-લક્ષી યુનિવર્સિટીઓ અને સ્વાયત્ત પદવી આપતી કોલેજો આવરી લેવામાં આવશે.
  • 15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા (જોડાણ પ્રથા) દૂર કરાશે અને કોલેજોને શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય-દીઠ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરાશે.
  • સમયાંતરે, દરેક કોલેજને પદવી-આપતી સ્વાયત કોલેજ તરીકે અથવા યુનિવર્સિટીના ઘટક તરીકે વિકસાવવામાં આવશે.
અધ્યાપકો
  • NEPમાં સ્પષ્ટ રીતે નિર્ધારિત સ્વતંત્ર, પારદર્શી ભરતી, અભ્યાસક્રમ/ પ્રશિક્ષણ રચવાની સ્વતંત્રતા, ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન, સંસ્થાકીય નેતૃત્વની ગતિશિલતા મારફતે અધ્યાપકોને પ્રોત્સાહન પૂરું પાડવા, ઉર્જાવાન બનાવવા અને તેમની ક્ષમતાના નિર્માણ માટે વિવિધ ભલામણો કરવામાં આવી છે.
  • કેટલાક નિયત માપદંડો પરિપૂર્ણ નહીં કરનાર અધ્યાપકોને જવાબદેહિતા નક્કી કરાશે. 

શિક્ષક પ્રશિક્ષણ
  • NCERT સાથે પરામર્શમાં NCTE દ્વારા શિક્ષક પ્રશિક્ષણ માટે નવા અને સર્વાંગી રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું, NCFTE 2021 ઊભું કરવામાં આવશે.
  • 2030 સુધીમાં, શિક્ષકો માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત 4 વર્ષની સંકલિત B.Ed. ડિગ્રી કરવામાં આવશે.
  • નિમ્ન માપદંડો ધરાવતી એકલ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ (TEIs) સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
માર્ગદર્શન મિશન
  • યુનિવર્સિટી/ કોલેજના શિક્ષકોને ટૂંકા અને લાંબા-ગાળાનું માર્ગદર્શન/ વ્યાવસાયિક સહાયતા પૂરી પાડવાની ઇચ્છા ધરાવતા તેમજ ભારતીય ભાષાઓમાં ભણાવવાની ક્ષમતા ધરાવતાં ઉત્કૃષ્ટ વરિષ્ઠ/ નિવૃત પ્રાધ્યાપકોના વિશાળ સમૂહનું સર્જન કરીને ‘રાષ્ટ્રીય માર્ગદર્શન મિશન’ની સ્થાપના કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા
  • SC, ST, OBC અને અન્ય SEDG શ્રેણીના વિદ્યાર્થીઓની કૂશળતાને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
  • શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની પ્રગતિ ઉપર દેખરેખ રાખવા અને તેમની સહાયતા, સંવર્ધન માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે.
મુક્ત અને દૂરસ્થ શિક્ષણ
  • GERમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા માટે તેનો વ્યાપ વધારવામાં આવશે.
  • ઉચ્ચ ગુણવતાયુક્ત વર્ગખંડ કાર્યક્રમોને સમકક્ષ બનાવવા માટે ઑનલાઇન અભ્યાસક્રમો જેવા પગલા અને ડિજિટલ ભંડારો, સંશોધન માટે ભંડોળ, વિદ્યાર્થી સેવાઓમાં સુધારો, MOOCની ક્રેડિટ-આધારિત સ્વીકૃતિ જેવા પગલાઓ હાથ ધરવામાં આવશે.
ઑનલાઇન શિક્ષણ અને ડિજિટલ શિક્ષણ
  • જ્યારે પણ પરંપરાગત અને વ્યક્તિગત શિક્ષણ વ્યવસ્થા દ્વારા શિક્ષણ પૂરું પાડવું શક્ય ન હોય ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણના વૈકલ્પિક રીત તરીકે તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે તથા તાજેતરમાં રોગચાળા અને મહામારીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ઑનલાઇન શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સર્વસમાવેશી ભલામણો કરવામાં આવી છે.
  • શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ બંનેની ઇ-શિક્ષણની જરૂરિયાતોનો ખ્યાલ રાખવા માટે MHRDમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ડિજિટલ સામગ્રી અને ક્ષમતા નિર્માણની વ્યવસ્થા ઊભી કરવાના હેતુસર એક સમર્પિત એકમનું સર્જન કરવામાં આવશે.
શિક્ષણમાં ટેક્નોલોજી
  • શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે તકનિકના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા ‘રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચ (NETF)’ના નામથી એક સ્વાયત સંસ્થાનું સર્જન કરવામાં આવશે.
  • વર્ગખંડ પ્રક્રિયાઓમાં સુધારો કરવા, સહાયક શિક્ષક વ્યાવસાયિક વિકાસ, નબળા જૂથોની શૈક્ષણિક પહોંચ વધારવા અને શૈક્ષણિક આયોજન, વહીવટ અને સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષણના દરેક સ્તરો પર તકનિકનું યોગ્ય સમન્વયન કરવામાં આવશે. 
ભારતીય ભાષાઓને પ્રોત્સાહન :
  • મામ ભારતીય ભાષાઓના સંરક્ષણ, વિકાસ અને જીવંતતા સુનિશ્ચિત કરવા માટે, NEP દ્વારા અનુવાદ અને અર્થઘટનની રાષ્ટ્રીય સંસ્થા (IITI), પાલી, પર્શિયન અને પ્રાકૃત માટે રાષ્ટ્રીય સંસ્થા (અથવા સંસ્થાઓ), સંસ્કૃત ભાષાના સશક્તિકરણ અને HEIમાં તમામ ભાષા વિભાગો અને HEI મહત્તમ કાર્યક્રમોમાં માતૃભાષા / સ્થાનિક ભાષાનો અભ્યાસના માધ્યમ તરીકે ઉપયોગની ભલામણો કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીયકરણ :
  • શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણને બંને સંસ્થાકીય સંકલન અને વિદ્યાર્થી અને પ્રાધ્યાપક ગતિશિલતા દ્વારા દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવશે અને આપણા દેશમાં મુક્ત પરિસરોમાં વિશ્વની ટોચની શ્રેણીમાં સ્થાન પામતા યુનિવર્સિટીઓને પ્રવેશ માટે પરવાનગી અપાશે.
વ્યાવસાયિક શિક્ષણ :
  • તમામ વ્યાવસાયિક શિક્ષણ એ ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાનો એક આંતરિક ભાગ બનશે.
  • એકલ ટેકનિકલ યુનિવર્સિટીઓ, આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીઓ, કાયદા અને કૃષિ યુનિવર્સિટીઓ વગેરે બહુવિધ વિદ્યાશાખાઓ ધરાવતી સંસ્થાઓ બનાવવામાં આવશે.
વયસ્ક શિક્ષણ
  • 100% યુવા અને વયસ્ક સાક્ષરતા પ્રાપ્ત કરવાનો હેતુ છે.
શિક્ષણને નાણાકીય સહાયતા
  • કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને શૈક્ષણિક ક્ષેત્રમાં GDPનો 6% જેટલું જાહેર રોકાણ કરશે.

સ્ત્રોત : PIB Ahmedabad

------------------------------------------------------------------------------------


PDF